Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 19 એક બપોરે (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 19 એક બપોરે (First Language)
એક બપોરે Summary in Gujarati
એક બપોરે કાવ્ય – પરિચય

– રાવજી પટેલ [જન્મ: 15 – 11 – 1939; મૃત્યુઃ 10 – 08 – 1968]
એક બપોરે” એ રાવજી પટેલનું નોંધપાત્ર કાવ્ય છે. સારસી તેમજ ખેતર પ્રતીકો છે. ખેતર એટલે જીવન અને સારસી એટલે પ્રિયતમા. વાત એક બપોરની છે, જે બપોરે (ભરયુવાનીમાં) સારસી, જીવનમાંથી ઊડી ગઈ છે, દૂર થઈ ગઈ છે. એથી કાવ્યનાયકના હૃદયમાં ખાલીપો વ્યાપી ગયો છે.
ખાલીપાની એ વેદના – વ્યથા આ કાવ્યમાં અભિવ્યક્તિ પામે છે. કેટલાક કવિના જીવન સાથે આ ઘટનાને જોડે છે. કવિને ભરયુવાનીમાં ટીબી થયેલો, જે રોગ જીવલેણ સાબિત થયેલો.
જોકે કાવ્ય પાસે એ અર્થઘટન માટે કશો આધાર નથી, પણ કવિનો જીવન – સંદર્ભ જોડવાથી કાવ્યનો રસાસ્વાદ માણી શકાતો હોય તો કશો વાંધો નથી. શેઢો, ઢોચકી, છાશ, ચલમની તમાકુ, તાપણું, બળદ, હળ વગેરે સાધનો ખેડૂતના જીવન સાથે સંકળાયેલાં છે, ખેડૂતનું એ જીવન છે.
કાવ્યનાયક આ શબ્દોને પ્રતીક બનાવી પોતાના જીવનમાં હવે કોઈ રસકસ રહ્યા નથી એ ભાવ વ્યક્ત કરે છે. કાવ્યમાં સારસીનો ઉલ્લેખ પણ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક જ બની રહે છે. કાવ્યની તળપદી ભાષા વેદનાને વધુ હૃદયસ્પર્શી બનાવે છે.
કાવ્યની સમજૂતી
મારા ખેતરના શેઢેથી એલા સારસી ઊડી ગઈ ! મા, ઢોચકીમાં છાસ પાછી રેડી દે. રોટલાને બાંધી દે.
આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ રહ્યો નથી. આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખ વાળીને તેને ઠારી દે.
મને મહુડીના વૃક્ષની છાયા નીચે પડી રહેવા દે. ભલે આખું આકાશ રેલાઈ જાય. ભલે ગળા સુધી ઘાસ ઊગી જાય. એઈ હવે બળદને હળે જોતરીશ નહિ.. મારા ખેતરને શેઢેથી
એક બપોરે શબ્દાર્થ
- શેઢો – ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી, જ્યાં ઘાસ ઊગે છે.
- ચલમ – તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર.
- તાપણી – સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા,
- તાપવું એ. મહુડી – એક ઝાડ, તેના ફૂલમાંથી દારૂ બને છે.
- આભ – આકાશ. હળ – જમીન ખેડવાનું ઓજાર.
Class 10 Gujarati Textbook Solutions Chapter 19 એક બપોરે Important Questions and Answers
એક બપોરે પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:
પ્રશ્ન 1.
“એક બપોરે” કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર :
“એક બપોરે કટાવ છંદમાં લખાયેલી, રાવજી પટેલની કવિપ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. “સારસી’ તેમજ ખેતર’ બંને પ્રતીકો છે. ખેતર જેનાથી રળિયામણું હતું એ “સારસી’ ઊડી જાય છે, ને ખેતરના ખેડુના ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે.
“સારસી’ એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એની કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં ભાવકને ઘેરા રસાનુભવમાં લઈ જાય છે. ખેતર જીવનનું પ્રતીક છે, એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક “સારસી નથી, પણ એક બપોરે” એવું છે.
કેટલાક સાહિત્યકારો કાવ્યની આ ઘટનાને અકાળે, નાની ઉંમરે મૃત્યુ પામેલા, કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે પણ કશો આધાર નથી. જોકે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તોપણ એમાં કશું ખોટું નથી.
બપોરે જમવા બેસતાં, ઘેરા વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક ઊડી જવું, કોરી ખાય છે. કશું ગમતું નથી. ઢોચકી – છાશ – રોટલા – ચલમ – તમાકુ – કશામાં રસ નથી રહ્યો. જિંદગી નિરસ બની ગઈ છે.
ખેતરમાંની સારસી વિષાદના કેન્દ્રમાં છે, કદાચ એ કાવ્યનાયકના જીવનની નિયતિ છે, તો એ સમય (મધ્યાહ્ન – એક બપોર) પણ વિષાદને વધુ ઘેરો બનાવે છે. મધ્યાહન એટલે જીવનનો મધ્યભાગ. કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે એમ જાણે “પીળે રે પાંદે લીલા ઘોડા ડૂળ્યા, ડૂળ્યા અબકાતાં રાજ, ડૂળ્યા મલકાતાં કાજ.”
અકાળે પ્રાણતત્ત્વરૂપ સારસીનું ઊડી જવું, જીવન(ખેતર)માંથી રસકસને પણ જાણે સાથે લઈ જાય છે.
આમ, “એક બપોરે શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થવ્યંજનાઓને ગોપિત રાખીને ભાવકના ચિત્તમાં વિશેષ રસાનુભવ કરાવે છે.
2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખો:
પ્રશ્ન 1.
કાવ્યનાયક કોના ખેતરની વાત કરે છે?
ઉત્તર :
કાવ્યનાયક પોતાના ખેતરની વાત કરે છે.
પ્રશ્ન 2.
સારસી ક્યાંથી ઊડી ગઈ છે?
ઉત્તર :
સારસી ખેતરને શેઢેથી ઊડી ગઈ છે.
પ્રશ્ન 3.
સારસી’નો ઉલ્લેખ કયા કાવ્યમાં થયો છે?
ઉત્તર :
“સારસી’નો ઉલ્લેખ “એક બપોરે” કાવ્યમાં થયો છે.
પ્રશ્ન 4.
કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે?
ઉત્તર :
કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે.
પ્રશ્ન 5.
કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે?
ઉત્તર :
કવિને ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે.
પ્રશ્ન 6.
કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે?
ઉત્તર :
કાવ્યનાયક માને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે.
પ્રશ્ન 7.
“ભારવેલો અગ્નિ’ એટલે શું?
ઉત્તર :
ભારવેલો અગ્નિ’ એટલે રાખ નીચે સંઘરેલો અગ્નિ.
પ્રશ્ન 8.
‘ભલે આખું આભ રેલી જાય’ પંક્તિનો અર્થ દર્શાવો.
ઉત્તર :
ભલે આખું આભ રેલી જાય’ પંક્તિનો અર્થ છે ભલે ધોધમાર વરસાદ પડે.’
પ્રશ્ન 9.
કાવ્યનાયક ગળા સમું શું ઊગી જવાની કલ્પના કરે છે?
ઉત્તર :
કાવ્યનાયક ગળા સમું ઘાસ ઊગી જવાની કલ્પના કરે છે. એક
પ્રશ્ન 10.
કવિ અંતમાં શું કરવાની ના પાડે છે?
ઉત્તર :
કવિ અંતમાં બળદને હળે જોતરવાની ના પાડે છે.
પ્રશ્ન 11.
“એક બપોરે કાવ્યમાં પ્રિયતમા કે પત્નીના પ્રતીક સાથે જીવનનું પ્રતીક કયું છે, તે દર્શાવો.
ઉત્તર :
‘એક બપોરે’ કાવ્યમાં પ્રિયતમા કે પત્નીના પ્રતીક સાથે સારસી પણ જીવનનું પ્રતીક છે.
પ્રશ્ન 12.
તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે?
ઉત્તર :
અમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કૃતિ “એક બપોરે” છે.
પ્રશ્ન 13.
રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે?
ઉત્તર :
રાવજી પટેલની “એક બપોરે અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે.
3. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ
પ્રશ્ન 1.
ઢોચકીમાં શું હતું?
A. પાણી
B. ઘી
C. છાશ
D. ભાતું
ઉત્તર :
C. છાશ
એક બપોરે યાકરણ Vyakaran
માગ્યા પ્રમાણે ઉત્તર : લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ
1. “ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ
- શારસી – (સારશી, સારસી, શારી)
- મહુડિ – (મહુડિ, મહુડી, મહૂડી)
ઉત્તર :
- સારસી
- મહુડી
2. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
- તાપણી
- અંગત
- ખેતર
ઉત્તર :
- પરપ્રત્યય
- પરપ્રત્યય
- એક પણ પ્રત્યય નહિ
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- છાંય = (પડછાયો, ઠંકડ, ઠેકાણું)
- કસ = (સત્ત્વ, બાંધવું, ભાવતાલ)
- આભ = (ગગન, ગાશું, વાદળ)
- તળે = (નીચે, લાદી ઉપર, તળેટીએ)
- બાંધવું = (ગોઠવવું, ભેગું કરવું, જકડવું)
- આખું = (સમગ્ર, ભરેલું, છલકાતું)
ઉત્તર :
- પડછાયો
- સન્ત
- ગગન
- નીચે
- જકડવું
- સમગ્ર
4. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
- સારસી – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
- છાશ – (દ્રવ્યવાચક, સમૂહવાચક, જાતિવાચક)
- છાંય – (ભાવવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
- આભ – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
- ઘાસ – (વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
- મહુડી – (વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
ઉત્તર :
- જાતિવાચક
- દ્રવ્યવાચક
- ભાવવાચક
- જાતિવાચક
- જાતિવાચક
- વ્યક્તિવાચક
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
5. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ
- આભ રેલાઈ જવું – પુષ્કળ વરસાદ વરસવો
- કસ ન હોવો – કશો સાર ન હોવો
6. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
- ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી, જ્યાં ઘાસ ઊગે છે – શેઢો
- તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર – ચલમ
- સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા, તાપવું એ – તાપણી, તાપણું
- જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ – મહુડી, મહુડો
- ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો – ભારવેલો
- સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો – ઢોચકી
7. નીચેના શબ્દોના અર્થ આપોઃ
- શેઢો – છેડો
- આખુ – આખું
- ઊડી – ઊંડી
ઉત્તર :
- શેઢો – ખેતરની ચોમેરની છોડાતી પટ્ટી
છેડો – પાલવ - આખુ – ઉંદર
આખું – ભાંગ્યા વિનાનું - ઊડી – હવામાં અધ્ધર ગઈ
ઊંડી – સપાટીની નીચે સરકતી
8. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ
- ઢોચકી
- ભારવેલો
- લ્યા
- અગની
- સમુ
- તળે
- નંઈ
- છાંય
ઉત્તર :
- દોણી, માટીનું વાસણ
- ચૂલામાં રાખની નીચે રાખેલો અગ્નિ
- અલ્યા, એલા
- અગ્નિ
- સમાન
- નીચે
- નહિ
- છાંયડો
9. નીચેની પંક્તિમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:
બળદને હળે હવે જોતરીશ નઈ …
ઉત્તર :
હવે – સમયવાચક
10. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
- ઢોચકી
- મહુડી
ઉત્તર :
- ઢોચકી – ટૂ + ઓ + સ્ + અ + ફ + ઈ
- મહુડી – મ્ + અ + + ઉ + ફ + ઈ
Class 10 Gujarati Textbook Solutions Chapter 19 એક બપોરે Textbook Questions and Answers
એક બપોરે સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા(૫)ની નિશાની કરો :
પ્રશ્ન 1.
ખેતરના શેઢે શું બન્યું હતું ?
(A) બળદ થાકીને બેસી ગયા હતા.
(B) સારસી ઊડી ગઈ હતી.
(C) વરસાદ તૂટી પડ્યો હતો.
(D) ગળા સમું ઘાસ ઊગી ગયું હતું.
ઉત્તર :
(B) સારસી ઊડી ગઈ હતી.
પ્રશ્ન 2.
કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા ?
(A) બાવળ
(B) બોરડી
(C) આંબો
(D) મહુડી
ઉત્તર :
(D) મહુડી
2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે ?
ઉત્તર :
કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે.
પ્રશ્ન 2.
કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે ?
ઉત્તર :
એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે.
3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે ?
ઉત્તર :
એક સારસી જે કવિને પ્રિય લાગે છે, તે ખેતરને શેઢેથી ક્યાંક ઊડી ગઈ છે. એના ઊડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એમને જીવનમાંથી રસ ઊડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે.
4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.
પ્રશ્ન 1.
સારસીના ઊડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
સમગ્ર કાવ્યમાં ગ્રામજીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, મહુડો છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઊડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે.
કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી.
કેવળ શૂન્યમનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે.
પ્રશ્ન 2.
ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો.
ઉત્તર :
ગ્રામજીવનમાં ખેતર – વાડી એ ખેડૂતનું કાર્ય – કર્મ – ક્ષેત્ર છે. ખેડૂતનું એ સારસર્વસ્વ છે, જીવન છે. અહીં, પ્રસ્તુત “એક બપોરે કાવ્યમાં કાવ્યનાયક(ખેડૂત)ની એક સારસીના ઊડી જવાથી એક વેદનાગ્રત બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે.
એમાં કાવ્ય – અંતર્ગત ગ્રામજીવન કે ગ્રામપરિવેશનો ઉલ્લેખ છે. એમાં કાવ્યનાયક (ખેડૂત) છે, ખેતર છે, એનો શેઢો – ખેતરની હદ ઉપરની અણ – ખેડ પટ્ટી, જ્યાં ઢોર માટે ઘાસ થાય છે. મા છે. ભાતું છે. ભાતામાં રોટલા ને છાશ છે.
ખેડ કરતાં કરતાં થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની સુવિધા છે. તાપણી છે, એમાં ભારવેલો અગ્નિ છે. ખેતરમાં મહુડી છે. મહુડી જેવાં વૃક્ષો ખેતર ને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે. ઘાસ છે, બળદ છે, હળ છે.
આમ, છાશ, રોટલી, તમાકુ, તાપણી, મહુડો, શેઢો વગેરે ખેતર – વાડીનાં વર્ણનો, ગ્રામજીવનને પ્રગટ કરે છે.
જોકે કાવ્યમાં વર્ણવાયેલાં આ પ્રાકૃતિક જીવનનાં દશ્યો, કાવ્ય માટે સાધનો છે, સાધ્ય તો છે કાવ્ય. સાધનો(ઉપાદાનો)થી સિદ્ધ થાય છે કાવ્ય, “એક બપોરે.’ પ્રસ્તુત ગ્રામજીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલાં ગ્રામજીવનનાં અન્ય દશ્યો પણ માનસપટ ઉપર તરી આવે છે!